Pages

Tuesday, May 3, 2011

સુખ ની શોધ ભાગ - ૪

સુખ ની શોધ ભાગ - ૪

આપણા ભારતીય સમાજમાં મનુષ્યના જીવનનો સૌથી મોટો પ્રસંગ તેના પોતાના લગ્ન ગણી શકાય.તેથી મનુષ્યના જીવનમાં લગ્નને પ્રાધાન્ય આપવામાં આવે છે. છોકરો છોકરી જવાન થાય ત્યારે તેના મનમાં લગ્ન કરવાની ઘેલછા જાગી ઉઠે છે. જ્યાં સુધી તેના લગ્ન નથી થતા ત્યાં સુધી તેના મનમાં સપનાના સમુન્દારો લહેરો કરતા હોય છે. મારો અથવા મારી જીવન સંગીની/સાથી આવી/આવો હશે તેના અવનવા વિચારોથી ઘેરાયેલો રહે છે. તે સમજે છે કે તેના લગ્ન થશે એટલે તે ચોક્કસ પણે સુખી થઇ જશે તેને જેમ જન્નત મળી જશે. તે સ્વર્ગમાં હોય તેવો તેને અહેસાસ થશે. શું ખરેખર જેના લગ્ન થઇ ગયા હોય છે તે કુંવારો કરતા વધારે સુખી હોય છે? આ મુદ્દો જો છેડવામાં આવે અને કોઈ પરિષદ રાખવામાં આવે તો હું દવા સાથે કહી શકું કે તમામ કુંવારો અને પરણેલા પોતાના મંતવ્યો સાથે ચોક્કસ ભાગ લેશે. આપનો સમાજ આજ પણ એવી માન્યતાઓ અને રુઢીઓથી ચાલી રહ્યો છે કે જેમાં તમામ માનવીઓનું પરણવું ફરજીયાત છે. તમારી મરજી હોય કે ના હોય. આજ રૂઢિવાદના કારણે જો કોઈ માણસ પોતાની મરજી થી કે સમાજની પોતાની ખામીઓથી કુંવારો રહી જાય છે અથવા તેને પોતાની જીવનસાથી મળતો નથી તેને સમાજ માં તુચ્છ હલકી નજરોથી જુએ છે. તેની કોઈ આબરુ અથવા સાખા રહેતી નથી. જ્યાં સુધી માણસ લગ્ન કરવા લાયક નથી થતો અથવા લગ્નની ઉંમરનો છે પણ લગ્ન નથી થયા એવા માણસ ને સમાજ કુંવારો/કુંવારી કહે છે. પણ આજ માણસના લગ્ન નથી થયા હોતા કોઈ કારણોસર અને તેની ઉંમર થોડી વધારે હોય તો તેને હાસ્યાસ્પદ ઉદ્દગારો કહે છે, આ તો વાંઢો છે. વાંઢો હોઉં આપણા સમાજમાં એક કલંક જેવું છે. એના જ કારણે માણસ સમય જતા જો તેને યોગ્ય પાત્ર ન મળે તો પણ પોતાની પસંદને એકબાજુ રાખીને પણ લગ્ન કરવા તૈયાર થઇ જાય છે. તેને વાંઢા રહેવા કરતા પોતાની પસંદ અને યોગ્યતાને મોભારે મુકીને પણ પરણી જવાનું વધારે યોગ્ય લાગે છે. તેને લાગે છે કે તે પરણ્યા પછી વધારે સુખી થઇ જશે. તેમજ તેને યોગ્ય પાત્ર મળી જાય છે તો એપણ સપના જોતો હોય છે કે પરણ્યા પછી પોતે સુખી થઇ જશે. છોકરો વિચારતો હોય છે કે તેને તેની ભાવી પત્ની પાસેથી પુષ્કળ પ્રેમ મળશે. બંને પ્રેમથી હળીમળીને જીવન ગુજારીશું. તેની પત્ની આવી જતા તેને સારું સારું રાંધીને ખવડાવશે,તેના અડધાથી વધારે કામ તે કરી લેશે, તેની ચિંતાઓમાં ઘટાડો થશે વગેરે વગેરે. તેવી જ રીતે કુંવારી છોકરીઓ પણ આવાં જ તીવ્ર સપનાઓ જોતી હોય છે.તેને લાગતું હોય છે કે તેને મનનો માણીગર મળી જશે. જે તેને પોતાના બધા જ સપનાઓ પુરા કરાવશે. તેના પિતા જે સૂખ તેને ન આપી શક્યા તે બધા તે પુરા કરશે વગેરે કાગેરે. તેથી જ આવા જ સપનાઓની મોહમાંયાની જાળમાં ફસાઈને બધા જ માનવીઓ લગ્નના પવિત્ર ગણાતા સામાજિક કે આત્મીય , મને ખબર નથી , એવા સંબંધમાં બંધાવાનું પસંદ કરે છે.( તમને જણાવી દઉં કે હું પણ આવા જ મોહનો શિકાર છું અને ટૂંક સમયમાં લાગ્નગ્રંથીમાં જોડાવાનો છું. પણ હજુ સુધી આ બાબતે નસીબદાર છું મને મારી મનપસંદ એવી જીવનસાથી મળી છે.) તે જ માણસ જે પરણીને સુખી થઇ જવાના સપના જોતો ફરે છે તે પરણ્યાના બીજા જ દિવસથી કહેતો ફરે છે કે કુંવારા હતા તો સારું હતું. પરણવાની તૈયારીમાં હોય તેવા માણસને પરણેલા માણસો ડગલેને પગલે હાસ્યાસ્પદ રીતે કહેતા હોય છે , એ ભાઈ સમજી જા પરણીને કાંઈ લેવાનું નથી. અમારી બધાની હાલત તને નથી દેખાતી કે તું પણ એ જ ભૂલ કરવા જી રહ્યો છે. હજુ સમય છે સમજી જા અને લગ્ન કરવાનું માંડી વાળ.આવાજ મંતવ્યોને રજુ કરતી એક કરતા વધારે રમુજી ટી.વી. સીરીયલો આપણા ટી.વી. ચેનલો પર અવાર નવાર જોવા મળે છે. દાખલા તરીકે પરણ્યા એટલે પતિ ગયા. મારો કહેવાનો મર્મ એટલો જ છે કે જો પરણીને માણસો સુખી થતા હોય તો પરણેલા ના મોઢેથી આવા શબ્દો તથા કોઈ લેખકોની કલમેથી આવા નાટકો અને સીરીયલોના એપિસોડ ના લખાયા હોય.થોડુંક વિસ્તારથી લઈએ તો કુંવારા માણસ એકલો છે. કદાચ તેને પોતાના સઘળા કામો જાતે કરવા પડતા હોય. તેને પોતાના જીવનસાથીની ઝંખના થતી હોય પણ તે મુક્ત છે. તે પોતાની જિંદગીના તમામ નિર્ણયો પોતે પોતાની ઈચ્છા મુજબ લઇ શકે છે. જેનાથી તેને પોતાને આનંદ થાય છે. પછી ભલે તેનો નિર્ણય ખોટો હોય. તેને રોકવા ટોકવા વાળો/વાળી કોઈ નથી હોતું. પરંતુ જયારે તે જ માણસ પરની જાય છે પછી તેને પોતાના કોઈ પણ જાતના નિર્ણયો લેતા પહેલા તેના જીવનસાથીનું ધ્યાન રાખવું પડે છે.પોતે લીધેલા પોતાના ઇચ્છુક નિર્ણયો ડગલે ને પગલે બદલવા પડે છે. જેનાથી તેને ચોક્કસ પણે દુ:ખ થાય છે. પણ લગ્ન જીવનમાં ભંગાણ ન આવે તે માટે તેને પોતાની ઈચ્છાઓનું વારંવાર સરેઆમ બલિદાન આપવું પડે છે. મોટા ભાગના કિસ્સાઓમાં જોઈએ તો લગ્ન ની સાથે માણસ પોતાની સ્વાભાવિક શૈલીનો રહેતો નથી. જેમ પુનર્જન્મ થતો હોય તેમ લગ્ન પહેલાનો અને લગ્ન પછીનો માણસ બંને ભિન્ન ભિન્ન છે. ફક્ત તેનું નામ જ તે છે. તેની ઓળખ એ જ છે. તેનું શરીર એ જ છે. પણ તે તે રહેતો નથી. તેમ છતાં માણસ લગ્ન પછી, લગ્ન પહેલા જેમ હોય તેનાથી મોટા ભાગના કિસ્સાઓમાં દુ:ખી જોવા મળે છે. જે માણસ લગ્ન પછી પોતાની જાતને પોતાના જીવનસાથીના અનુરૂપ બદલાતો નથી તેનું જીવન લકડથકડ બોઝ રૂપ બની જાય છે. તે તેમાંથી પર પડવાની રાહ જોતો હોય છે. તેવા માણસો ઘરથી વધારે બહાર સુખી રહે છે. આદિ અવળી લતે ચડી જાય છે. વ્યસની બની જાય છે. પોતાના લગ્ન જીવનને વ્યવસ્થિત શાંતિથી ચલાવવા માટે પોતે પોતાનું જીવન બદલી નાખે છે. કજિયા અને કંકાસ સિવાય કાંઈ વધ્યું નથી હોતું. આવા કિસ્સાઓથી બહુ ઓછા અપવાદ છે. માણસનું જીવન તનાવપૂર્ણ છે પણ તેને દુનિયાનું તમામ ટેન્શન જેટલું હેરાન નથી કરતુ તેટલું તેના લગ્ન જીવનને શાંતિથી ચલાવવાનું તનાવ હોય છે.મીરાંબાઈની જેમ ઝેર તો પીધા જાની જોઈને એવું સમજી સમજી જીવતો હોય છે.અંતમાં એક હિન્દી ફિલ્મનું ગીત છે જેના બોલ કાંઈ એવા છે કે , શાદી હૈ દિલ્હી કા લડ્ડુ, જો ખાયે પસતાયે જો ના ખાયે વો પસતાયે. તે બરાબર સાચું જણાય છે. તમામ ચર્ચાનો નિષ્કર્ષ એ જ છે કે પરણીને સુખી થઇ જવાય છે તે ખોટી માન્યતા છે.


બ્રહ્મદેવના આ બ્રહ્માંડમાં કોઈ પણ સજીવનું મનુષ્ય અવતારમાં અવતરવું તે ઈશ્વર નું બહુમૂલ્ય વરદાન છે. તે પછી સ્ત્રી થઈને જન્મ મળે કે પુરુષ તરીકે બધું બરાબર જ છે પણ જો મારા વિચાતો પ્રમાણે ચાલીએ તો સ્ત્રી હોવું વધારે મૂલ્યવાન ગણાય. કેમ કે તે જ બીજા મનુષ્ય ને ધરતી પર જન્મ આપી શકે છે,પુરુષ કેટલો પણ ગુણવાન હોય , ગમે તેટલો પ્રભાવશાળી હોય પણ તે બીજા મનુષ્યને તો જન્મ ન જ આપી શકે. મારા વિચારો થી શું થવાનું હતું? આપણા સમાજનું ઘડતર એવી રીતે થયું છે કે જેમાં સામેલ લગભગ સઘળી સ્ત્રીઓ વારંવાર વિચારે છે કે હે ભગવાન મને પુરુષ બનાવી હોત તો સારું હતું. આપણા સમાજ ની રચના એવી રીતે છે જેમાં પુરુષને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આવું કોને કર્યું છે તે તો હું જાણતો નથી પણ અનંતકાળથી આજ પ્રણાલી ચાલી આવે છે અને સમાજ પુરુષ પ્રધાન છે. ઇતિહાસ માં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, ગ્રંથોમાં બધે જ પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે જ પ્રથા આજ પણ ચાલી આવે છે. આજે પણ આપનો સમાજ પુરુષ પ્રધાન છે. પણ આજના આ ઘોર કળીયુગમાં હવે સ્ત્રીઓને આ હજમ થવાનું બંદ થવા લાગ્યું છે. પુરુષોને પ્રાધાન્ય છે તે વાત ને યાદ કરીકરીને તેણીઓના પેટમાં સતત દુખ્યા કરે છે અને તે પોતાને દુ:ખી મહેસૂસ કર્યા કરે છે. આપણા સામાજિક ઠેકેદારો અને સરકારના રચયીતાઓને પણ જેમ મગજમાં સળવળીયા કીડાં ચડી ગયા હોય તેમ સમાજને સુધારવાના સુવિચારો સાથે સુત્રો રજૂ કરે છે, સ્ત્રી પુરુષ એક સમાન. હું તો ફક્ત એટલું જ કહીશ કે જેને આવા સુત્રોચ્ચાર રજુ કર્યા છે તેનો કહેવાનો હેતુ એકદમ સાચ્ચો અને શુદ્ધ સાત્વિક છે પણ તેને જે રીતે સમજવામાં આવે છે તે એકદમ ખોટો છે. સ્ત્રી અને પુરુષ બંનેની કોઈ પણ કાળે સરખામણી ન થઇ શકે. બંને એકદમ ભિન્ન છે.બંનેની અલગ અલગ અને બહુમુલ્ય કિંમત છે. મને તો એ નથી સમજાતું કે ક્યાં હેતુથી અને શું કરવા બંનેને સમાંતર કરવા માંગે છે. પણ મારા ન સમજવાથી શું થાય આજની સ્ત્રીઓ પોતાને પુરુષો સાથે સરખાવવામાં અથવા તેમના કરતા પ્રભાવિક સાબિત કરવામાં રસ ધરાવે છે. એમાં પણ જે થોડું ઘણું અભ્યાસ કરી જાય છે તેનું સામાજિક ગણિત વધારે ખરાબ થતું જાય છે. જેટલું સ્તરો વધારે અભ્યાસ કરે છે એટલો જ વધારે બરાબરી તે પુરુષો સાથે કરવા લાગે છે. તે સમજવા લાગે છે કે પુરુષો કરતા જરાપણ કમ નથી. તે કેમ સમજતી નથી કે ભણતર પોતાનું જીવન સુધારવા માટે હોય છે, નહિ કે પોતાની સાથે તુલના કરવા માટે. પોતાની તુલના પુરુષો સાથે કરીકરીને તેના સમાન થવાની ઘેલછા સાથે તે પોતે સ્ત્રી છે તેના કુદરતી રીતે અલગ કર્મ ધર્મ છે તે ભૂલી જાય છે. અને હું અને તમે બધા જાણીએ જ છીએ કે આવી તમામ ભણેલી પણ અભણ સ્ત્રીઓ દુ:ખના સમુદ્રમાં ગરકાવ થતી જણાય છે. થોડાક મુદ્દાઓનું વર્ણન કરું તો આજે સ્ત્રીઓ પોતાના પરંપરાગત વેશભૂષાને ત્યાગીને પુરુષોના સમાન પેન્ટ, શર્ટ, ટીશર્ટ પહેરવા લાગી છે. પુરુષોની જેમ બાઈક,ગાડી વગેરે ચલાવે છે. પુરુષોના સમાંતર તેમના જેવા જ કામ કરે છે. પુરુષોની જેમ અને જેટલા જ પૈસા કમાવાની હોડ લગાવે છે વગેરે વગેરે ઘણું બધું. મને આવા બધા પરિવર્તનોથી કોઈ વાંધો નથી પરંતુ આ પણ એ ભ્રમ જ છે કે આવું બધું કરવાથી સ્ત્રીઓ સુખની અનુભૂતિ કરે છે.એકબીજાની અથવા બરાબરી કરવાની હોડ માં આજે સ્ત્રીઓ એટલી બધી આગળ નીકળી ગઈ છે કે તેમના માંથી સ્ત્રીત્વ ગુમ થવા લાગ્યું છે. તેમની વિચારશૈલી એટલીહદે બદલી ચુકી છે કે આજે તેઓ એવું વિચારતી થઇ ગઈ છે કે સ્ત્રીને મળેલ સૌભાગ્ય વરદાન જેના લીધે માતા બની શકે છે, પોતાના સંતાનને પોતાના ઉદરમાં રાખીને નવ મહિના સુધી પોતાના લોહી અને પ્રેમથી સિંચન કરે છે. તે જ વરદાન આજે તેને કાંટાળું લાગવા લાગ્યું છે. નવ મહિના પોતાના પેટમાં રાખીને તેને જન્મ આપવાનું સૂખ તેને આજના યુગમાં દુઃખદાયી સમય લાગે છે. તે કહેવા લાગી છે કે સંતાન મારું અને મારા પતિનું બંનેનું છે, જન્મ્યા બાદ તેના નામ પાછળ તેના પિતાનું નામ લાગશે તેમ છતાં નવ મહિના તેને તેના પેટમાં ઉછેરવાનું? આવાજ વિચારશૈલીના કારણે “સરોગેટ મધર” એટલે કે એવી માતા અથવા સ્ત્રી જે પૈસા માટે કોઈબીજા માતા – પિતાનું સંતાન તેના પેટમાં ઉછેરે છે અને તેનો જન્મ આપે છે. તો આપણા સમાજમાં જન્મ થયો છે. જન્મ આપ્યા બાદ પણ માતાનું કામ પૂર્ણ નથી થતું. બાળકને જયારે ખરેખર માતાના વ્હાલ, પ્રેમ હૂંફની જરૂર પડે છે તેવા સમયે તે આધુનિક માતા પોતાના સંતાનને ઉછેરનું કામ કોઈ ભાડુતી માતા અથવા આયા બેનના હાથમાં સોંપીને પૈસા કમાવવા માટે નીકળી જાય છે. કોણ જાણે તેને પોતાના સંતાનને મુકીને શું કમાવા જેવું હોય છે. આમ તમામ ચર્ચાનો અર્થ એ જ છે કે આજની સ્ત્રી પોતે પુરુષ હોત તો સારું હતું, તો પોતે સુખી હોત એવા ભ્રમમાં ખોવાઈ ગઈ છે.તે કેમ નથી સમજતી કે આપણા સમાજમાં તમામ જવાબદારીઓનો ટોપલો પુરુષો પર ઢોળેલો છે. શારીરિક કે પછી માનસિક તમામ કપરા કામ પુરુષોના ભાગમાં આવ્યા છે. કુદરતી રીતે પુરુષોનું ઘડતર એવી રીતે થાય છે કે તે આવા કામ કરી શકે તેમ છતાં તેના તનાવમાં તેના માથાના વાળથી લઈને ઢીંચણની ગાદીઓ શુદ્ધા ઘસી જાય છે તોય સ્ત્રીઓને લાગે છે કે પુરુષો સુખી રહે છે. હે મારી માતાઓ, બેનો, ભાભીઓ પોતાની અંતરની આત્માથી વિચારો અને કુદરતે તમને જે કામ માટે નિર્ધારિત કર્યા છે તે કામને સાચું અંજામ આપો અને સમાજને સુંદર બનાવો. તેનાથી જ તેમને અને તેમના વંશજો તથા પરિવારને સૂખ પ્રાપ્ત થશે.

--ઝાલોડિયા અલ્કેશ

No comments:

Post a Comment