Pages

Saturday, April 30, 2011

સુખ ની શોધ ભાગ - ૩

સુખની શોધ ભાગ - ૩

જ્યારથી આં સજીવ સૃષ્ટિનો ઉદ્દભવ થયો છે ત્યાથી ઘણી વાતો સનાતન સત્ય છે કે દરેક સજીવ પ્રાણીને જીવવા માટે હવા, પાણી ની જરૂર પડે છે, આપણે આપણી જાત ને એટલે માનવજાત ને કુદરતે બનાવેલ સજીવોનામું સૌથી મહત્વપૂર્ણ સજીવપ્રાણી માણીએ છીએ. આપણે હવા, પાણી ની જરૂર પડે છે,હવા, પાણીની સાથે સાથે આજકાલ ભણતર પણ માનવને જીવવા માટે અનિવાર્ય થઇ ગયું છે. આજે તમે દુનિયાના કોઈ પણ પ્રાંત ના કોઈ પણ મનુષ્યને પૂછીએ તો બધા પાસેથી એક જ વાત જાણવા મળશે કે ભણતર વિનાનું જીવન નકામું છે. ભણવું તો પડે જ. આજના જમાનામાં અભણ માણસને જાનવર સમાન ગણવામાં આવે છે. આવી બધી માન્યતાઓનો એક જ મતલબ છે કે આજકાલ બધાનું માનવું છે કે ભણેલો માણસ સુખી થાય છે. આજકાલ જન્મેલા મનુષ્ય સ્ત્રી હોય કે પુરુષ પર એટલું બધું દબાણ હોય છે કે ના પૂછો વાત. હજુ મા ના પેટ માં હોય છે ત્યાં જ બધા કહેવા લાગે છે કે જો છોકરો થશે તો ભણીને ડોક્ટર બનાવવો અથવા એન્જીનીયર બનાવવો છે. ભણવા માટે ગમે તેટલો ખર્ચો કરવો પડે તો કરવો છે પણ એને પુરો ભણાવવો છે, છોકરી આવશે તો એરહોસ્ટેસ બનશે વગેરે વગેરે. બાળક પોતાના મા ના પેટમાં જ ભણી ભણીને આવું બનવાનો બોઝ મહેસુસ કરવા લાગતો હોય હશે. આજના આ ઝડપી યુગમાં માણસના જીવનનું હજુ માંડ માંડ ૩-૪ વર્ષ જતું હોય આ દુનિયાના ત્યાં તેના માતા-પિતા તેના જીવનને સુખી બનાવવા માટે તેને ભણવા બેસાડી દેશે. આજકાલ ભણતર આગળ પણ ચાલે છે અને પાછળ પણ ચાલે છે. પહેલા એટલે આજથી ૧૦ વર્ષ પહેલા ભણવા બેસતા ત્યારથી ધોરણ પેલું કહેવાતું. આજકાલ તો જુનિયર કે.જી., સીનીયર કે.જી. , અને પછી ક્યારેક પેલામાં પહોંચતા પહોંચતા બાલમંદિર પણ આવી જાય અને પછી ધોરણ એક ચાલુ થાય. આમ આજકાલ આ જમાનામાં હજુ છોકરું ડાબો-જમણો પણ માંડ માંડ જણાતું હોય ત્યાં ભણવાનું ચાલુ થઇ જાય છે. ત્રણ વર્ષના છોકરાને વળી પોતાના જીવન પાસેથી શું આશા હોય? તેમ છતાં માં – બાપ અને આજના યુગમાં આવેલા પરિવર્તન ને કારણે તે મહેજ ત્રણ વર્ષની ઉમરે ભણવાનું ચાલુ કરી દેશે. તેમાં પણ ઓછું પડતું હોય તેમ છ કલાક સ્કુલ માં ભણ્યા ઉપરાંત ઘરે આવીને પાછો ટ્યુશન જવાનું અને ત્યાંથી આવ્યા બાદ ઘરે પાછા સ્કુલ અને ટ્યુશન નું હોમવર્ક કરવાનું. જે મમ્મી કામ કરતી કરતી થાકેલી પાકેલી પરાણે પરાણે ગુસ્સેથી કરાવતી હોય અને તેમાં છોકરાને ખબ રના પડે અથવા તે ધ્યાન ના દે તો વચ્ચે વચ્ચે થોડો ઘણો મેથીપાક પણ ખાતો જાય. આમ રતન વર્ષ ની વયે માણસ ભણવાનું ચાલુ કરે છે અને મોટા ભાગની પોતાની ઈચ્છા વિરુદ્ધ ભણે છે. ત્યાંથી પ્રાથમિક, પછી માધ્યમિક , અને ૧૨મુ બોર્ડ. અધધધ ૧૨માં ના બોર્ડ માં સારા ટકા લાવવા માટે આજ કાલ છોકરો રાતદિવસ એક કરી નાખે છે.સારી સારી મોંઘીદાટ હાઇસ્કુલમાં એડમિશન લઈને માં-બાપ થી દુર રહીને કોઈ હોસ્ટેલ માં રહેવાનું પછી જે મળે તે ખાવાનું.આખો દિવસ સ્કુલ ટ્યુશન અને પછી મોડી રાત સુધી વાંચવાનું. સવારમાં વહેલા ઉઠીને વાંચવાનું. આમ આજકાલ ફક્ત ૧૨માં ધોરણમાં સારા ગુનો પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત કરવાની. પછી જો સારા માર્ક્સ આવે તો એન્જીનીયર અથવા ડોક્ટર કરવાની અને ન આવે તો માં- બાપ ની ગાળો ખાવાની. સારી જગ્યાએ એડમિશન મળી જાય તો વળી પાછું ૪ -૫ વર્ષ માટે માં – બાપ થી દુર કોઈ કબાડી ખાના જેવી હોસ્ટેલમાં જઈને રહેવાનું અને ગંધારૂ ખાવાનું અને પાછા એ જ ચોપડીઓના થોથા પકડવાના.આમ કરતા કરતા માણસ કોઈ ગ્રેજ્યુએટ થઇ જાય છે ત્યારે ખબર પડે છે કે ગ્રેજ્યુએટની કોઈ વેલ્યુ નથી પોસ્ટગ્રેજ્યુએટ થવું જ પડે. એટલે પાછો પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે એડમિશન માટે તનતોડ મહેનત કરવાની અને જો એડમિશન મળી જાય તો પાછા ૨ -૩ વર્ષ ત્યાં જઈને મહેનત કરવાની અને ત્યારે જઈને પોસ્ટગ્રેજ્યુએટ ની પદવી મળે છે. ત્યાં ખબર પડે છે કે હવે તો પોસ્ટગ્રેજ્યુએટ ની પણ કોઈ વધારે વગ રહી નથી હવે તો સુપરસ્પેશિયાલિટી અથવા તો ફીલ્ડમાર્શલ થવું પડે છે. હવે આટ આટલું ભણ્યા પછી માણસને એમ તો થાય જ કે આટલું તો કરી જ નાખવું જોઈએ. એટલે પાછો એ પદવીની ખોજ માટે પોતાના પગ અને બુદ્ધિ દોડાવવા લાગે છે. આમ કરતા કરતા ઘસાતા પીસાતા ૩૪- ૩૫ વર્ષ ની વય થઇ જાય છે. ત્યારે ટે પોતાના ભણતર નો ઉપયોગ કરવા નીકળે છે.ટે તેને કેટલું ઉપયોગી બનશે અને તેને કેટલો સુખી બનાવશે એ તો દુર ની વાત છે પણ એટલું તો પાકું છે કે આજ ના યુગમાં માણસની એવરેજ આયુ ૬૦ વર્ષ ની છે.તેમાંથી ટે ૩૫ વર્ષ ભણવામાં બગાડે છે.જે તે અતિ કષ્ટ વેઠીને વિતાવે છે અને પછીના સમયની ખબર નહિ શું થાય. આમ માણસ પોતાની જિંદગીનો સૌથી મહત્વનો અડધો ભાગ ભણતર માં વિતાવી દે છે જે ખરેખર તેના પોતાના જીવંત જીવનને જીવવાનો સમય છે. હવે બાકીનો વધેલો સમય તો તે પાછો બીજાના માટે જોવાતો થઇ જશે. તેમ છતાં માની લઈએ કે ભણ્યો છે એટલે સુખી થઇ જશે તો તે પણ સરસર ખોટું જ છે. આપણે અવલોકન કરીએ છીએ કે જે જેટલું વધારે ભણ્યો છે જેટલી મોટી પદવી છે તે કદાચ વધારે માનમોભો મેળવે છે. વધારે પૈસા કમાય છે પરંતુ તેની પાસે પોતાના માટે અથવા પોતાના સ્નેહીજનો માટે સમયનો અભાવ છે તે પોતાને તનાવપૂર્ણ મહેસુસ કરે છે. દુનિયાભરના ટેન્શનનો અનુભવ થાય છે. તેને ત્યાં સુધી કે તેને પોતાના ઊંઘવા માટે નીંદર ની ગોળીઓ ખાવી પડે છે. તેમ છતાં તેમને નીંદરનો અભાવ હોય છે. બીજી તરફ જે ઓછું ભણ્યા છે તે મસ્તમજાની આરામ ની ઊંઘ લે છે. તેવી જ રીતે આપણે અવારનવાર સમાચાર પત્રકો, ન્યુઝ ચેનલોમાં અને રેડીઓમાં સંભાળતા આવીએ છીએ કે આ માણસે આત્મહત્યા કરી. તેમાં પણ બધા ભણીગણીને મોટા થનાર ઉંચી પદવી મેળવનાર માણસો જ સૌથી વધારે આત્મહત્યા કરતા હોય છે. આમ મને સમજાતું નથી કે ભણતર માણસને કઈ રીતે સુખી બનાવે છે. પોતાની બહુમૂલ્ય જિંદગીનો અડધોથી વધારે ભાગ ભણવામાં ગુજારનાર માણસ પોતાના ઘર પરિવાર, માં – બાપ, મોજ મસ્તીના દિવસો, પૌષ્ટિક આહાર અને ઘણું બધું ત્યાગ કરે છે. ફક્ત ભણવા માટે અને તે દરમ્યાન તે ડગલે ને પગલે દુ:ખી થાય છે. તો મને કોઈ એમ સમજાવશે કે જીંદગી નો અડધો હિસ્સો દુ:ખી થઈથઈને ભણવાનું એ માટે કે જીવનનો બાકી વધેલો સમય સુખાકારી થશે, જીંદગી સુધરી જશે. માણસ ક્યારે સમજશે કે જો પોતાની જિંદગીનો બહુમૂલ્ય સમય વેડફ્યા બાદ ક્યા સૂખ ની પ્રાપ્તિની તે વાત કરી રહ્યો છે. તેમ છતાં આજ કાલ આવાજ વાયરા વાય છે અને બધા આ વંટોળિયામાં ફસાયા છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અમને આમાંથી બચાવી લે અને બધાને સદબુદ્ધિ આપે કે ભણતર જીવનમાં જરૂરી છે પણ એ વર્તમાન સુખને ત્યાગીને કાલ્પનિક ભવિષ્યના સુખની પ્રાપ્તિ માટે ન હોવું જોઈએ.

આ જગતમાં આવનાર તમામ માણસ જન્મે છે ત્યારે સૌથી નાનો હોય છે અને સમયની સાથે મોટો થતો જાય છે.ઘણાખરા એવા હોય છે જેને સમય પણ બદલી શકતો નથી,તે સંબંધોમાં માણસ ની ઉંમર પૂરી થઇ જવા છતાં નાનો ને નાનો જ રહે છે. હું મારી જ વાત કરું તો અમે ત્રણ ભાઈઓ છીએ તેમાં હું સૌથી નાનો છું. હવે હું જન્મ્યો ત્યારે પણ નાનો હતો અને જયારે પ્રભુને પ્યારો થઈશ ત્યારે પણ સૌથી નાનો જ રહીશ. મારી કોઈ પણ ઉપલબ્ધીઓ મને મારા ભાઈઓ કરતા મતો ના બનાવી શકે. હું મારી વાત કરું તો હું નાનો છું તેનો મને ખુબ જ આનંદ છે. મેં ક્યારે પણ એવી ઝંખના નથી કરી કે હું મોટો હોત તો સારું છે. પરંતુ આ વાત ફક્ત મારા માટે સીમિત છે. બાકી દુનિયામાં બધા જ માનવીઓ ડગલે ને પગલે કહેતા હોય છે કે મોટા હોત તો સારું હતું. આપનો સમાજ અને સંસ્કાર એવા છે કે તેમાં જો કોઈ નાના નાના જેની ગણના ના થાય તેવા કામ હોય તો નાનાને ચીંધવામાં આવે છે. ભલે તે શારીરિક અને માનસિક ક્ષમતા માંગી લેતા હોય, બીજી તરફ જે કામની કિંમત હોય જેની ગણના થાયછે. જેના કરવાથી વાહ વાહ લુંટી શકાય તેવા કામો આપણા મોટાઓ કરતા હોય છે. થોડાક દાખલા લઈને કહું તો ગમે ત્યારે પણ આપણા ઘરમાં કે બહાર આપણે કોઈ જનસમુદાય એકઠો કરીને કોઈ કામ કરતા હોઈએ અથવા ખાલી વાતોના વંટોળિયા ઉડાળતા હોઈએ અને ત્યાં કોઈ ચીજવસ્તુની જરૂરિયાત હોય, કોઈને પણ તો તુરંત તેમાંથી નાનામાં નાના સભ્યને શોધીને કામ સોંપી દેવામાં આવે છે. કામ ગમે તેને હોય, ફાયદો ગમે તેને થતો હોય, કરવું નાનાને પડે છે. જેમ કે મારા ઘરમાં મારા ભાઈના મિત્રો આવ્યા છે. અને તેને તે ઠંડાપીણા પીવડાવવા માંગે છે. જેને દુકાનપરથી લેવા જવું પડે. હવે તે કામ માટે મારો ભાઈ મને હુકમ કરશે કે જા મારું નામ દેજે અને આટલા ઠંડાપીણા લઇ આવ. હવે તમે અવલોકન કરો કે મિત્રો મોટાના છે, નામ મોટાનું છે, વાહ વાહ મોટો લુંટશે અને કામ નાનો કરશે. આપણા સમાજ માં આ વાત ને સંસ્કાર ગણવામાં આવે છે કે નાનાએ મોટાનું કામ કરવું જોઈએ. ચાલો માની લઉં કે આ સંસ્કાર છે પણ જો સંસ્કાર તમને પીડાદાયી લાગે, તેનાથી દુ:ખ થતું હોય તો તે શું કામના? જ્યાં સુધી માણસ સમજુ નથી થતો ત્યાં સુધી તે કાંઈ પણ વિચાર્યા વિના મોટાના કામ કર્યા કરે છે. પરંતુ જયારે તે સમજુ થઇ જાય છે ત્યારે તે જ કામ તેને પોતાના પર ઢોળેલો બોઝ લાગવા લાગે છે.સંસ્કારના આડે અને શરમેને શરમે તે કરતો રહે છે. પણ તે ક્યારે પણ મનથી રાજી નથી હોતો કે તેને આવું કામ કરવું પડે છે. ત્યારે તે બોલી ઉઠે છે હે ભગવાન તમે મને નાનો કેમ બનાવ્યો. મોટો બનાવ્યો હોત તો સારું હતું. મારું પોતાનું માનવું છે કે જયારે માણસ સમજુ થઇ જાય છે ત્યારે તે નાનો રહેતો નથી. તેનામાં અને તેનાથી ઉમરમાં મોટામાં ફક્ત ઉમર અને અનુભવ નો તફાવત રહે છે.અને હું એમ પણ માનું છું કે ફક્ત આટલા જ કારણે મોટાઓએ પોતાના ફાયદાના કામ નાના પર ઠોકવા જોઈએ નહિ. જેથી નાના એવું સમજીને દુ:ખી છે અને તેનો મોટો તેનાથી સુખી છે. મોટાને પૂછો કે તે સુખી છે ખરો? જરાપણ નહિ આપણા સમાજમાં ઉમર ગમેતેટલી હોય ફક્ત એટલું કાફી છે કે તે મોટો છે,તેના માથે જવાબદારીનો ટોપલો ઢોળવા માટે. ઘરમાં કે સમાજ માં કોઈપણ જાતનું ક્યારેપણ કામ હોય તેની જવાબદારી લેવાની હોય કે એ કામ થઇ જ જશે. કોઈ પણ જાતની ભૂલચૂક વિના ત્યારે સમાજ મોટાનેજ સોંપે છે. મોટાને કોઈ પણ આનાકાની કર્યા વગર તે જવાબદારી ભર્યા કામને કોઈપણ ભોગે અંજામ આપવાનું તેના માથે રાખવું જ પડે છે.ભલે તેને ગમતું હોય કે ના ગમતું હોય.જો કોઈ આવા કામમાં થોડી ઘણી ભૂલચૂક થાય તો સમાજ મોટાને જ કહેશે કે તું તો મોટો છું તને તો ખબર પડવી પડે અને આનું મહત્વ સમજવું પડે. અંતે નાનાથી જો આવા કામમાં ભૂલ અથવા ખોટું થાય તો તેને તો તે નાનો છે તે માટે. આરામથી છુટબારી મળી જાય છે. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે સૂખ ક્યાં છે નાનો હોવામાં કે મોટો થવામાં?

--ઝાલોડિયા અલ્કેશ

સુખ ની શોધ ભાગ - ૨

સુખ ની શોધ ભાગ - ૨

આહાહા! દુનિયામાં કોઈ એવો માણસ કદીપેદા થયો હશે ? જે સુંદર હોવું કે થવું નહિ ચાહતો હોય. હું ખાત્રીપુર્વક કહી શકું કે સર્વે કરવામાં આવે તો એક પણ એવો માણસ ના મળે જે સુંદર હોવું ના પસંદ કરે અથવા કદરૂપો હોવું પસંદ કરે. આપણે આપણા જીવનમાં ડગલેને પગલે અવનવા મોઢેથી સાંભળ્યું હશે કે પેલી છોકરી કેટલી સુંદર છે અથવા પેલો છોકરો કેટલો રૂપાળો છે. તમામ માણસો જગતમાં સુંદર દેખાતા માણસ જેવું બનવાની મનમાં ઘેલછા રાખતા હોય છે. આજકાલ સિનેમાના યુગમાં છોકરા છોકરીઓ પોતાના ચહિતા કલાકારો, હીરો હિરોઈન જેવું બનવા માંગે છે. પોતાના શરીરને રૂપાળું બનાવવા માટે અવનવા અટપટા,ભલાભુંડા પેંતરા કરવામાં જરા પણ બાકી રાખતા નથી.જ્યાંસુધી માણસને કોઈના જેવું બનવાની ઈચ્છા નથી હોતી ત્યાં સુધી તે ભગવાને આપેલ તેના પોતાના શરીરને જ મસ્ત સમજીને સુખી આનંદિત રહેતો હોય છે. પણ જ્યારથી તે પોતાને બીજાની જેમ બનાવવા માંગે છે ત્યારથી તે અવનવા ચિત્રવિચિત્ર પ્રયાસો કરીને પોતાની જાતને રગદોળવાનું ચાલુ કરી દે છે. આજકાલના નવયુવાનો, જવાનોને જો કોઈ શારીરિક પરિશ્રમ નું કામ બતાવવામાં આવે તો તુરંત કહે છે હું ના કરી શકું,મેં કડી કર્યું નથી.આ તો મજુરીનું કામ છે હું તો થાકી જાઉં. મારી કમર ભાંગી જાય. વગેરે વાતો કરીને કામ ના કરે. પરંતુ તે જ જવાનિયો કલાકો સુધી કોઈ મોંઘાદાટ જીમ માં જઈને શરીરને સુંદર દેખાવળું બનાવવા તનતોડ મહેનત કરે છે. તે એવું વિચારતો હોય છે કે સલમાનખાન જેવો બોડી બની જાય તો કેટલો મસ્ત લાગુ. પરંતુ તે ભૂલી જાય છે કે સલમાન ખાન એક અલગ મનુષ્ય છે અને તે એક બીજો માનવ છે. બંનેના શરીર અલગ અલગ રચના ધરાવે છે. જે ડોલા સોલા, માંસપેશીઓ વાળું શરીર સલમાનને સુંદર બનાવે છે તે જ માંસપેશીઓ તેને અને બીજા ઘણાને કદરૂપો પણ બનાવી શકે. ચાલો માની લઈએ લે વ્યવસ્થિત શરીર બનત અતે સુંદર લાગશે, પણ એટલું તો વિચારવું જોઈએ ને કે વરસોની તનતોડ મહેનત પછી થોડો સુંદર લાગવા તે પોતાની જાતને રોજ કેટલી દુ:ખી કરે છે. આપણે ઘણા બધા તો મહત્વાકાંક્ષી જુવાનીયાઓને રોજરોજ એવું કહેતા સંભાળ્યા હશે કે આજ હાથ દુખે છે,પગ દુખે છે અને ઘણા બધા તો આવેગ માં આવીને એટલી બધી કસરત કરી જાત હોય છે કે તેનાથી થતી પીડાને મટાડવા માટે ચિકિત્સકો નો સહારો લેવો પડતો હોય છે. આટલી બધી વેદના ઉઠાવતા પણ તેને વ્યવસ્થિત શરીર ના બને એટલે તેની સાથે સાથે તેને પોતાના ચટપટા સ્વાદિષ્ટ રોજબરોજ ના ખોરાક પર કાબુ રાખીને સ્વાદવિહોણા એવા ખોરાક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે, જે તેને સ્વાદ નહિ શરીર બનાવવામાં મદદ કરે છે. આમ શરીર બનાવવાના મોહમાં પોતાની સ્વાદેન્દ્રીયોને દુ:ખી કરીકરીને જીવતા હોય છે. અને તેમાં પણ એતો પાકું નથી કે શરીર બનશે પણ એતો પાકું જ છે કે સ્વાદેન્દ્રીયોને દુ:ખી કરે છે. આતો થઇ પુરુષોની વાત. પોતાને સુંદર દેખાવવાળું બનાવવાની હોડ માં પુરુષો કરતા સ્ત્રીઓ હજારો ગણી આગળ છે. મોટા મોટા શહેરોથી લઈને નાનામાં નાના ગામમાં રહેતી કન્યાઓ કે સ્ત્રીઓ તમામે તમામ પોતાની જાતને સુંદર બનાવવા જાતજાતના ચિત્ર વિચિત્ર પેંતરા કરતી જોવા મળે છે. એમાં પણ આ એકવીસમી સદીના સીરીયલોના જમાનામાં બાપરે બાપ સ્ત્રીઓએ તો મજા મૂકી દીધી છે.સીરીયલોના સ્ત્રીપાત્રને જે સુંદરતાથી દેખાડવામાં આવે છે કે એને જોઈ જોઈને આજકાલ ની નારીઓના મોઢામાંથી પાણી નીકળી જાય છે. આમ તો હું સીરીયલો જોતો નથી પણ ઘણી વખત ઘરમાં સ્ત્રીઓ સીરીયલો જોતી હોય ત્યારે બેઠો હોઉં ત્યારે સીરીયલ જોતી નારીઓ પર આવતા પ્રતિભાવો ઘણી બારીકાઈથી જોતો હોઉં છું. એક તરફ મને મજા આવતી હોય અને બીજી તરફ જીવ પણ બળતો હોય કે આમને કોણ સમજાવે કે જે તે જોઈ રહ્યા છે તે બધું બનાવતી છે અને તે ફક્ત પ્રેક્ષકોને આકર્ષવા બનાવ્યું છે. નકામું છે ભાઈ, સ્ત્રીઓને સમજાવવું નકામું. સીરીયલોના પાત્રની સુંદરતા જોઈને અવનવા ઉદ્દગારો નીકળતા હોય છે, જેમ કે આહાહા કેટલી સુંદર લાગે છે,કેટલી મસ્ત સદી પહેરી છે, કેટલો સુંદર સેટ છે, એકદમ પરી જેવી લાગે છે. આમ સીરીયલોમાં દેખાડેલ કાલ્પનિક સુંદરતાને જોઈને પોતાની જાતને તેવી બનાવવા માટે માથાવા લાગે છે. તેવી સુંદરતા પામવા અવનવા ઉપાયો કરે છે. જેમ કે મુલતાની માટીનો લેપ, મધનો લેપ, ગુલાબજળનો ઉપયોગ, બ્લીચીંગ, એલોવેરાનો અજુગતો ઉપાય, ફેસિયલ, લીપસ્ટીક ના લપેડા, પાવડરના થથેડા,ક્રીમોનો લેપ,મોઢે દુપટ્ટો બાંધી રાખવો. વળી એક વાતતો સમજાય નહિ પહેલા સુંદર બનવા ટૂંકા સ્લીવલેસ કપડા પહેરે અને પછી સૂર્યથી બચવા લાંબા મોજા પહેરે અને તે પહેલા સનસ્ક્રીન લોશનના લપેડા કરે.કપડાની દુકાને જઈને સીરીયલમાં કોઈ એક પાત્રે પહેરેલ વસ્ત્રના જેવું ગોતવા પગના તળિયા ઘસી નાખે અને લાવ્યા પછી પાછા ત્રણ વખત બદલવા જાય. તેમ છતાં સુંદર તો દેખાય જ નહિ. આમ કરતા પણ જો તે સુંદર દેખાઈ જાય તો તે સુખી કહેવાય એવું તે બધાનું માનવું છે. પરંતુ તે ફક્ત અને ફક્ત ભ્રમ છે. જે વ્યક્તિને સુંદરતા ભગવાનના આશીર્વાદ રૂપે જન્મથી મળી છે તેને જરા પૂછીએ ત્યારે ખબર પડે કે તે સુખી છે કે દુ:ખી. સામાન્ય રીતે આપણે જોઈએ તો સુંદરતાનું સૌથી મોટું માપદંડ ચામડીના રંગ પર આધારિત છે. જેની ચામડી સફેદ હોય છે તેને આપણે સુંદર કહેતા હોઈએ છીએ. શું જગતમાં કોઈ એવો માનવી હશે જેને ગોરી ચામડી નથી જોતી? ના રે ના . બધા જ માનવીઓ ગોરી ચામડીની ઝંખના રાખે છે. શું જેની ચામડી ભગવાને સફેદ, આકર્ષક બનાવી છે તે સુખી છે? મેં તો ઘણી વખત નિહાળ્યું છે એટલે કહું છું જેને સફેદ ત્વચા છે તે સૂરજદાદાની રોશની થી પણ ડરે છે. તેમનાથી સુર્યપ્રકાશ સહન નથી થતો. પ્રકાશ થી બચવા પોતાનો ચહેર અને શરીર ને ઢાંકીને રાખે છે. બપોરના સમયે બહાર નીકળતા પહેલા હાજર વખત વિચાર કરે છે. થોડી પણ ગરમી હોય તો સફેદ માણસોને પીડા થવા લાગે છે. જયારે રૂપાળા છોકરા છોકરીનો જન્મ થાય છે ત્યારે તેને પ્રથમ વખત નિહાળનાર તમામ માણસોના મુખેથી એવા ઉદ્દ્ગારો નીકળે છે કે કેટલો રૂપાળો કે રૂપાળી છે કોઈ ની નજર ના લાગી જાય. અને એ જ ડર થી તેના પલાન્હારો તેની સુંદરતાને ઓછી કરવા તેના ચહેરા પર કાળો ડાઘ કરતા હોય છે. એવું માની ને કે એમ કરવાથી તેમના સંતાન પર કોઈની નજર નહિ લાગે. સુંદર રૂપાળી છોકરી ઘરની બહાર નીકળતા પહેલા હજારો વખત વિચારે છે. કેમ કે બહાર નીકળે છે ત્યારે તમામ પુરુષોની નજર તેના પર પડે છે અને તેમના મુહમાંથી અવનવા સારા અને ખરાબ ઉદ્દગારો નીકળે છે. ઘણા બધાતો તેને અવનવા ખરાબ સંબોધનોથી પુકારે છે અને ઘણા નરાધમો તો શારીરિક છેડતી પણ કરે છે. આમ એ જ રૂપાળું શરીર જેની ઝંખના બધા કરતા ફરે છે તે જેને મળે છે તેને જીવવું મુશ્કેલ બની જાય છે. આમ રૂપાળું શરીર પામવાથી કોઈ માણસ સુખી નથી થઇ જતો. સુંદર શરીર હોવાના કારણે માણસ સુખી થઇ જાય છે તે બધાનો ફક્ત અને ફક્ત ભ્રમ છે.

--ઝાલોડિયા અલ્કેશ

Sunday, April 17, 2011

સુખ ની શોધ ભાગ - ૧

સુખ ની શોધ ભાગ -૧


બચપણ થી લઈને જીવનના અંત સુધી,પૃથ્વી પર અવતરતા તમામ જીવોનું એક જ લક્ષ્ય હોય છે કે સુખી થવું છે.આપણે મનુષ્ય છીએ અને ફક્ત આપણી જ વાત કરીએ તો દુનિયાના બધા જ માનવી અમેરિકન,અંગ્રેજી કે પછી આપણે ભારતીય,ગરીબ હોય કે પછી અમીર,કાળો હોય કે પછી ગોરો,સ્ત્રી હોય કે પછી પુરુષ.સઘળા માનવી પોતાના બાળોતિયથી લઈને ઠાઠડી સુધીની લાંબી યાત્રામાં એક જ વાતની શોધ કાર્ય કરે છે,સુખ.જ્યારથી હું જન્મ્યો છું ત્યારથી આજ સુધી માં મારી ૨૭ વર્ષની જીવન યાત્રામાં હું બધા જ માણસ ની જેમ એ જ બે અક્ષરના ભારીભરખમ શબ્દ ની શોધ માં જોડાઈ ગયો છું.જો હું ફક્ત મારી જ વાત કરું તો જયારે જયારે મને એમ લાગે કે બસ આ રહ્યું સુખ,ફક્ત બે ડગલા ચાલવાનું છેછે અને હું સુખી થઇ જઈશ,ત્યારે ત્યારે ત્યાં પહોંચતાની સાથે મને લાગે છે , સુખ જેટલું દુર લાગતું હતું તેનાથી હવે બમણું દુર થઇ ગયું છે અને હું ત્યારે સુખી થવાને બદલે પોતાની જાતને પહેલાથી પણ વધારે દુ:ખી મહેસુસ કરું છું.કુદરતની આ અદ્ભુત રચના પૃથ્વી પર જ્યારથી મારો પ્રવાસ શરુ થયો ત્યારથી આજ સુધી હું અસંખ્ય માણસોના સંપર્કમાં આવ્યો છું.અલગ અલગ ચિત્ર વિચિત્ર સંજોગોમાં માણસોને જોયા છે,અલગ અલગ જગ્યાઓ પર માણસોને જોયા છે ,જુદા જુદા સંજોગોમાં જુદા જુદા સંબંધો અને સગાવહાલા સાથે જોયા છે.પણ તમામ અનુભવના અંતે હું તમને એ ચોક્કસ કહી શકું છું કે બધા એ જ સુખી થવાના ફોર્મ્યુલાની નિષ્ફળ શોધમાં પડ્યા છે. હું જરા વિસ્તૃત કરું તો, ગરીબ માણસ એમ સમજે છે કે તે અમીર થઇ જાય તો સુખી થઇ જાય,કાળો માણસ સમજે છે કે તે ગોરો થઇ જાય તો સારું થઇ જાય, અભણ સમજતો હોય છે કે ભણ્યો હોત તો સારું થાત.ડોકટર કે એન્જીનીયર બનીને જલસા કરેત.નાનો સમજે છે કે મોટો થઇ જાઉં તો સારું બધાનું માનવું તો ના પડે પોતાની રીતે કાંઈક કરી શુકુ.કુંવારા સમજે છે કે પરની જાઉં તો સારું પત્ની હોય તો મજા આવી જાય, સ્ત્રી સમજે છે કે પુરુષ હોઉં તો સારું ઘરમાં મારું તો ચાલે, વહુ સમજે છે સાસુ બનું એટલી વાર છે વહુ પર દાદાગીરી કરવા તો થાય, સંસારી સમજે છે કે સન્યાસી સારા કોઈ જગતની ચિંતા તો નહિ. આવું તો ઘણું છે, કેવાનો મતલબ ક્યાં કોણ સુખી છે? સુખ ક્યાં છે? ક્યાં છે આ સુખ? શું અમીર માણસ સુખી છે? સફેદ ચામડી વાળા સુખી છે? ભણેલા સુખી છે? મોટા સુખી છે? પરણેલા સુખી છે? પુરુષો સ્ત્રી કરતા વધારે સુખી છે? સન્યાસી સંસારી કરતા વધારે સુખી છે? ના ના ના એવી જરા પણ માન્યતામાં ના રહેતા , આ બધા માંથી કોઈ સુખી નથી એ હું તો કહું જ છું પણ તમે બધા ભલીભ્રાંતિ જાણો છો. નથી માનવામાં આવતું? ચાલો હું તમને ભ્રમિત લગતા આ સુખના દાખલા લઈને ચર્ચા કરવું.

ગરીબોનું એવું માનવું છે કે અમીરો સુખી છે, તેથી દુનિયાના તમામ ગરોબો તવંગર બનવા માંગે છે. તવંગર બનવા માટે અવનવા સાચા – ખોટા, સરળથી સરળ અને અઘરામાં અઘરા રસ્તા અપનાવે છે. ચોરી કરે, મારપીટ કરે, દગાબાજી કરે, અને ખુન પણ કરે. ફક્ત અને ફક્ત એમ સમજીને કે પૈસા મળતા પૈસાદાર થઈને તે સુખી થઇ જશે અને મજાની જીંદગી ગુજારશે. પરંતુ તેઓ બધા જ ભ્રમિત છે, તેઓ સમજે છે કે પૈસા થી સુખ મળે છે. હક્કીકત એકદમ વિપરીત છે. પૈસા થી માણસ સુખી જરૂર લાગી શકે , પરંતુ પૈસાદાર માણસ સુખી જ હોય તે બિલકુલ આવશ્યક નથી . મેં અને તમે બધા એ આપણી જીંદગી માં ઘણા માણસોને એવું કહેતા સંભાળ્યા હશે કે પેલા ભાઈ જેટલા પૈસા હોય તો બસ બીજું કાંઈ ના જોય.જયારે આપણે તે માણસ ને પૂછીએ ત્યારે તે કહેતો હોય કે ફલાણા જેટલા પૈસા આવી જાય તો શાંતિ થાય અને સુખેથી જીવી શકાય. સત્ય છે કે આપણે આપણાથી પૈસાદાર ને સુખી સમજીએ છીએ અને તેની બરાબરી કરીને દુ:ખી થિયે છીએ. જયારે આપણી પાસે હાજર રૂપિયા હોય છે ત્યારે પણ આપણે જીવી શકીએ છીએ અને ત્યારે આપણી ઈચ્છા લાખો કમાવાની હોય છે.જયારે આપણે લખપતિ હોઈએ ત્યારે પણ જીવતા હોઈએ છીએ અને ત્યારે આપની ઈચ્છા કરોડો કમાવવાની થઇ જાય છે.આપણે હજારો માંથી સુખી થવા લાખો કમાઈએ છીએ.લાખોમાંથી સુખી થવા કરોડો કમાઈએ છીએ. પણ આપણે ફક્ત પૈસા કમાઈએ છીએ સુખ નથી કમાતા. જીવનની આ ભાગદૌડ માં આપણે ઘણા એવા તવંગર ,ધનવાન અથવા ધનકુબેરોના સંપર્કમાં આવ્યા છીએ.જેમના પાસે ધનની કોઈ સીમા નથી તે છતાં તે પોતાની જાતને દુનિયાનો સૌથી દુ:ખી માણસ ગણાવતો હોય છે. કેમ? સામાન્ય કારણો ગણવા બેસીએ તો ધનની લાલચમાં માણસ એટલો ખોવાઈ જાય છે કે તેના પોતાના સ્નેહીજનો માટે સમય નથી બચતો. સૌથી સામાન્ય બાબતોમાં જોઈએ તો મોટા મોટા બિઝનેસમેન જે કલાકોમાં લાખો કમાતા હોય ,તેની પત્નીઓ માટે તેમના માટે સેકન્ડોમાં સમય હોય છે. પત્ની પતિની રાહ જોઈ જોઈને બેથી હોય છે ને પતિ ધનના ઢગલા કરવા બેઠો હોય. પરિણામ એવું આવે છે કે પત્ની પતિના સંબંધો કમજોર થતા જાય છે. પત્ની પતિથી તલાક કરે છે. ઘણા કિસ્સામાં પત્ની પોતાના શારીરિક સુખ ની પ્રાપ્તિ માટે બીજા કોઈ સાથે અજુગતા સંબંધો બાંધે છે. આવી જ રીતે બાપ-બેટા ના સંબંધોમાં થાય છે. પુત્ર પોતાના જન્મદાતા પિતાને ફક્ત એ માટે પિતા કહેતો હોય છે કે ટે તેના ધનસંપત્તિનો વારસદાર હોય છે. બાકી બંને વચ્ચે પીતાપુત્રમાં હોવો જોઈએ તેવા કોઈ સંબંધ હોતા નથી. ધનની પ્રાપ્તિ માટે માણસ એટલો વ્યસ્ત થઇ જાય છે કે તેના માટે ઊંઘવાનો પણ સમય રહેતો નથી.જો સમય મળે છે તો મગજ પૈસા કમાવાની ધૂન માં એટલું ફરતું થઇ ગયું હોય કે તેને ઊંઘ આવતી નથી. અરબો રૂપિયાનો માલિક એક શાંતિ ની ઊંઘ માટે તડપતો હોય છે. ઊંઘ ની ગોળીઓ ખાવાનું તેના માટે સામાન્ય થઇ ગયું હોય છે., રોજ ઊંઘવા માટે ગોળીઓ ખાવી પડે છે.આમ કરતા કરતા એક દિવસ એવો આવે છે કે શેઠ રાત્રે ગોળીઓ નો ઢગલો ખાઈને ઊંઘવા જાય છે અને સવારે તેના ઘરના નોકરો શેઠનો પોતાનો ઢગલો પ્રાપ્ત કરે છે.અખબારમાં બીજા દિવસે મુખ્ય સમાચાર આવે છે કે ફલાણા-ઢુંકણા શેઠે ઊંઘની ગોળીઓ ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. પછી તેના આ મૃત્યુનું કારણ શોધવા ડેડબોડીનું પોસ્ટમોર્ટમથાય છે અને તેનાથી સંતોષ ના થતા મીડીયાવાળા તેના જીવનકથાનું પોસ્ટમોર્ટમ કરી કરીને જનતા સમક્ષ પ્રસ્તુત કરે છે.જેથી તેની આત્મા પણ દુ:ખી રહે તો ક્યાંથી પૈસાદાર સુખી થયો. તમામ માથાકૂટ ભરેલી આ ચર્ચાનો મર્મ એ છે કે પૈસા માણસ ને સુખી બનાવી શકે એ ભ્રમ છે. આથી જ કહું છું કે જે ગરીબ માણસ અથવા મધ્યમવર્ગના માણસો પૈસાથી સુખ ભાળે છે તે જરા પોતાના અંતર આત્માની આંખો ખોલે અને સમજી જાય કે પૈસો પોતાની જગ્યાએ બરાબર મહત્વ ધરાવે છે પણ સુખી ન બનાવી શકે. અંતમાં આપના ગુજરાતના સૌથી પૈસાદાર એવા રિલાયન્સ કંપનીના માલિક વિષે જાણીએ તો તેમના પાસે એટલા પૈસા છે કે તે દુનિયાની તમામ ચીજવસ્તુઓ ખરીદી શકે. પોતાની પત્નીના જન્મદિવસે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી હેલિકોપ્ટર ભેટ આપી શકે છે તેમ છતાં બંને સુખી નથી. જો બંને ભાઈઓ સુખી હોત તો તેમના વચ્ચે ઝઘડો ના થયો હોત. તેમની વિશાળ કંપનીના ભાગલા ન થયા હોત. અને ધીરુભાઈ અંબાણી તેમના પપ્પા રિલાયન્સના પાયોનીયરે જોયેલું સપનું પૂરું થયું હોત પરંતુ તેમ ના થયું અને ધીરુ ભાઈ અધોગતિએ મૃત્યુ પામ્યા અને હવે તેમના ધનાઢ્ય સુપુત્રો તેમની આત્મા ને દુ:ખી કરવા કોઈ કસર નથી છોડતા. એટલે કહેવાનું એટલું કે સુખની પ્રાપ્તિ માટે અમીરી કે ગરીબીનું કોઈ માન્ય નથી.


- ઝાલોડિયા અલ્કેશ.